Editors Choice

3/recent/post-list

મહુવાના તરકાણીમાં આદિવાસી સમાજની ઘેર સ્પર્ધામાં વાંસદાના સિણધઈનું ઘેર મંડળ પ્રથમ.

 


Date : 23-11-2023 

દ.ગુ.માં ધોડિયા, હળપતિ, કોળઘા, નાયકા, ચૌધરી આદિવાસી જ્ઞાતિના લોકોમાં ઘેર નૃત્ય ખાસ્સું પ્રચલિત

મહુવાના તરકાણીમાં આદિવાસી સમાજની ઘેર સ્પર્ધામાં વાંસદાના સિણધઈનું ઘેર મંડળ પ્રથમ.

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના નેજા હેઠળ મહુવા તાલુકાના તરકાણી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક ઘેર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં છ જેટલી ઘેર મંડળીનો સમાવેશ કરાયો હતો.

આ હરીફાઈ દરમિયાન પ્રથમ ક્રમે વાંસદા તાલુકાના સિણધઈ રાજમલાની ધોડિયા આદિવાસી ઘેર મંડળ આવ્યું હતું. જયારે દ્વિતીય ક્રમે નવસર્જન યુવક મંડળ, તરકાણી ખાખરી ફળિયા અને તૃતીય ક્રમે ઘેરિયા વિજય મંડળ, વાંઝણાની ટુકડી વજેતા નીવડી હતી. નિર્ણાયક તરીકે ડો. એ.જી.પટેલ (આહવા), ડો. હિતેન્દ્ર (દેદવાસણ), નરોત્તમભાઈ પટેલ (ચરવી) તથા સુભાષ પટેલ (કોસ) વગેરે વિદ્વાનો દ્વારા સેવા બજાવાઈ હતી. પ્રથમ વિજેતા ઘેરને રૂ. ૨૧ હજાર, દ્વિતીય વિજેતા ઘેરને રૂ. ૧૧ હજાર અને તૃતીય વિજેતા ઘેરને રૂ. ૭ હજાર તથા ભાગ લેનાર તમામને ૩ હજાર રૂપિયાની પુરસ્કાર રાશિ એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત મહુવા-વાલોડના ધારાસભ્ય ધોડિયા સહિત અન્ય કલારસિકો તરફથી આવેલી રકમ પ્રોત્સાહન સ્વરૂપે અર્પણ કરવામં આવી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ધોડિયા, હળપતિ, કોળઘા. નાયકા તેમજ ચૌધરી વગેરે જ્ઞાતિના લોકોમાં આ થેર નૃત્ય ખાસ્સું પ્રચલિત છે. તરકાણીમાં ઘેર નૃત્ય સ્પર્ધામાં વહેવલના સહકારી આગેવાન નરોત્તમભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કુલીન પટેલે ઘેર નૃત્ય વિશે જાણકારી આપી હતી. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસીયાએ આ ભવ્ય સંસ્કૃતિને પેઢી દર પેઢી જાળવી રાખવા આહવાન કર્યું હતું. આદિવાસી સમાજના યુવાનો કે જેમણે વેપાર ધંધામાં વિશેષ સફળતના હાંસલ કરી છે તેઓના ખાસ સન્માન સાથોસાથ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ આ તકે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત તરફથી એનાયત કરવામાં આવી હતી.

ઘેર નૃત્ય દ્વારા દેવદેવીની આરાધના કરવાનો અવસર

ગુજરાતની આગવી ઓળખ એટલે 'ગરબો'. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું લોકપ્રિયતા ધરાવતું નૃત્ય એટલે ઘેર. દિવાળીનો સમય એટલે દૈવીશક્તિના આરાધનાનું પર્વ, આદિવાસી સમાજ માટે 'ઘેર' બાંધી દેવદેવીને રીઝવવાનો શ્રેષ્ઠ અવસર. દિવાળી ટાણે ખેડૂતો કાપણીના કાર્યમાંથી પરવારી જાય છે. નવરાશની પળને મનભરીને માણી લેવા સાથે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા આદિવાસી સમુદાય ઘેર નૃત્ય કરે છે. ઘેર નૃત્યમાં માત્ર શક્તિની આરાધના જ નહી પણ વિવિધ પ્રકારની માન્યતાઓ પણ આ સાથે જોવા મળે છે. જેમ કે બાળકને ઝુલાવતું પારણું, મૃતાત્માઓને આ ઘેરિયા મંડળી દ્વારા તાર મરાવીને યાદ કરવા, ઘરના લાડલા વ્યક્તિને ઘોડીએ ચડાવી એના શેષ જીવનને આંનદમય બનાવવાની માન્યતા તેમજ ઘરમાંથી કકળાટ કઢાવતા જેવી માન્યતાઓ રહી છે. ઘેરીયા મંડળીનો મુખ્ય ગાયક એટલે 'કવ્યો’ અને સાથે હોય 'ભગત’. આ ભગત અને કવ્યા દ્વારા સમગ્ર નૃત્ય મંડળીનું સંચલન થતું હોય છે. ઘેરિયાઓનો પોશાક ન તો નરનો કે ન તો નારીનો એ પ્રકારનો હોય છે. માથે સાફો અને કમરે ઘુઘરા ઝૂલતા હોય છે.

Post a Comment

0 Comments